સ્તનપાન ની વૈજ્ઞાનિક પધ્ધતિ

સ્તનપાન નવજાત શિશુની મુખ્ય આવશ્યકતા છે. નવજાત શિશુને પ્રથમ છ માસ માત્ર સ્તન પાન જ કરાવવુ જોઈએ. ઉપર થી આ સિવાય કોઈ પણ અન્ય પદાર્થ કે વસ્તુ કે પાણી પણ ન આપવા જોઈએ. વળી પ્રથમ બે વર્ષમાં શિશુનો શારીરીક અને ખાસ કરી માનસિક વિકાસ પણ ખૂબ ઝડપી રીતે થશે. આવા સમયે શિશુનું પોષણ યોગ્ય રીતે થાય તે ખૂબ જરુરી છે. સ્તનપાન આ તમામ જરુરીયાતો પ્રથમ છ માસ માટે પૂરી પાડે છે.
આમ કોઈપણ નવજાત શિશુની તંદુરસ્તી અને વિકાસ નો આધાર પ્રથમ છ માસ માં સફળ સ્તનપાન પર જ છે. સ્તનપાન એ પ્રાણી સહજ કુદરતી પ્રક્રિયા હોવા છતા કેટલાક નિયમો અને યોગ્ય પધ્ધતિ પૂર્વક ન કરાવાય તો તેના સંપૂર્ણ લાભ પ્રાપ્ય થતા નથી અને થોડા સમયમાં જ શિશુને સ્તનપાન સિવાય અન્ય દૂધ કે અન્ય ખોરાકની જરુરીયાત ઉભી થઈ જાય છે. આવુ કરવાના ખૂબ ગંભીર અને માઠા પરિણામો ઘણી વાર શિશુ એ ભોગવવા પડે છે.

સ્તન ની રચના
સ્તન મુખ્યત્વે રચનાકિય રીતે દૂધ ઉત્પાદક ગ્રંથિ ઓ અને તેનું વહન કરતી નલિકાઓ તથા તેને ટેકો આપતી ચરબી ધરાવે છે. દૂધ પેદા કરતી ગ્રંથિ માંથી દૂધ નાની વહન નલિકા (lactiferous duct) દ્વારા એક કોથળીનુમા ભાગ (lactiferous sinus)માં આવે છે. ત્યારબાદ નાની નલિકાઓ દ્વારા નીપલ વાટે બાહર આવે છે. 
બાહ્ય રીતે જોઈએ તો સ્તનની રચનામાં મુખ્યત્વે ગોળાકાર ભાગ અને ડિંટડી(નીપલ) દેખાય છે. આ ડિંટડી કે નીપલ ફરતે કાળી ચામડી સ્તન પર દેખાય છે જેને એરીઓલા(areola) કહે છે.
સ્તનપાન માટે જરુરી સિધ્ધાંતો
  1. શિશુને યોગ્ય રીતે છાતી પર વળગાડો.
  2. શિશુને યોગ્ય રીતે ટેકો આપો અને પકડો.
  3. સ્તનપાન વખતે શિશુ દૂધ યોગ્ય રીતે ગળે ઉતારે છે કે નહિ તે જુઓ.
  4. ધીરજ પૂર્વક શિશુને કરવુ હોય એટલી વાર સ્તન પાન કરવા દો.
  5. સ્તનપાન માટે એક હકારાઅત્મક અભિગમ રાખો.
  6. કોઈપણ તકલીફ માટે જાતે નિર્ણય ન લો પણ વિશેષજ્ઞની સલાહ લો.
શિશુને યોગ્ય રીતે છાતી પર વળગાડવાની રીત
આ માટે ચાર મુદ્દાઓનું ખાસ ધ્યાન રાખો

  1. શિશુની દાઢી માતાના સ્તન ને અડકતી હોય.
  2. શિશુનું મુખ સંપૂર્ણ ખુલ્લુ હોય.
  3. માતાના સ્તનનો કાળી ચામડી(areola)નો ઘણો ખરો ભાગ શિશુના મુખ ની અંદર હોય.
  4. શિશુનો નીચલો હોઠ બાહરની તરફ વળેલો હોય.
ઉપર જણાવ્યા મુજબ શિશુને સ્તન સમક્ષ લેવાથી શિશુની સ્તન પર પકડ બરાબર રહે છે. એરીઓલા નીચેના દૂધની  કોથળીઓ (lactiferous sinus) બરોબર દબાવાથી દૂધ નો પ્રવાહ અવિરત ચાલુ રહે છે. આવુ થવુ ખૂબ જરુરી છે. ઘણી માતાઓ સ્તનપાન વખતે શિશુને માત્ર નીપલ મોંમાં આપે છે જેથી શિશુને પૂરતુ દૂધ મળતુ નથી અને શિશુ લાંબો સમય ચૂસ્યા કરે છે છતા પણ ભૂખ સંતોષાતી નથી અને દર એકાદ કલાકે ફરી સ્તનપાન માટે રડે છે. વળી શિશુ નીપલ પર દબાણ કરે છે તેથી માતાને નીપલમાં ઈજા પહોંચે છે અને દુઃખાવો થાય છે. જેમાં ક્યારેક ચેપ થવાથી સ્તનમાં ગાંઠ કે રસી થઈ શકે છે. આમ ખોટી રીતે વળગાડવાથી શિશુ અને માતા બન્નેને નુકશાન થાય છે અને સરવાળે સ્તનપાન માં મુશ્કેલી સર્જાતા માતા અન્ય વિકલ્પ તરફ વળે છે અને શિશુ માટે વધુ જોખમો નોતરે છે.

No comments:

Post a Comment